Monday - May 04, 2026

મોરબીમાં સામાન્ય વર્ગની 16 બહેનોને વિનામૂલ્યે સીવણની તાલીમ આપી પગભર બનાવી

મોરબીમાં સામાન્ય વર્ગની 16 બહેનોને વિનામૂલ્યે સીવણની તાલીમ આપી પગભર બનાવી

RSS પ્રેરીત સેવા ભારતી દ્વારા બહેનોને સ્વાવલંબન તરફ દોરતો પ્રશિક્ષણ–પ્રમાણપત્ર કાર્યક્રમ યોજાયો

મોરબી : સંઘ કાર્યાલય “કેશવ કુંજ” મોરબી ખાતે RSS પ્રેરીત સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ, રાજકોટ–મોરબી શાખા દ્વારા સંચાલિત વિવિધ સેવા પ્રકલ્પોમાં સ્વાવલંબન આયામ અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ભડિયાદ ખાતે ચાલતા “સાવિત્રીબાઈ ફુલે સિવણ કેન્દ્ર” માં નિઃશુલ્ક પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલ 16 બહેનોને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા. આ પ્રશિક્ષણ દ્વારા બહેનોને સ્વાવલંબન તરફ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ પ્રસંગે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ ટ્રસ્ટ-રાજકોટના મંત્રી તથા પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારાએ સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન બિંદુઓ તથા સમાજના સર્વાંગી વિકાસ માટે સંઘ દ્વારા ચલાવવામાં આવતાં વિવિધ સેવા કાર્યોની આવશ્યકતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.

મોરબીમાં સામાન્ય વર્ગની 16 બહેનોને વિનામૂલ્યે સીવણની તાલીમ આપી પગભર બનાવી

જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા દ્વારા મોરબી જિલ્લામાં સેવા ભારતીના ચારેય આયામો અંતર્ગત ચાલી રહેલા સેવા કાર્યો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ મોરબી જિલ્લામાં ચાલતાં સંસ્કાર કેન્દ્રોના આચાર્યો તથા દીદીઓની માસિક પ્રશિક્ષણ બેઠક પણ સંયુક્ત રીતે યોજાઈ હતી, જેમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાકાર્યની કાર્યપદ્ધતિ અંગે ચર્ચા કરવામાં આવી.

આ કાર્યક્રમમાં જિલ્લા સહ સેવા પ્રમુખ સતિષભાઈ પટેલ, હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા, જયેશભાઈ ચોટલીયા, લલિતભાઈ પાન્ડેજી, જેઠાલાલ કવૈયા અને પ્રેમજીભાઈ અઘારા ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. કાર્યક્રમ અંતે સૌએ સેવા, સંસ્કાર અને સ્વાવલંબનના કાર્યને વધુ વિસ્તૃત કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.