મોરબી શહેર અને જિલ્લામાં કતલખાના અને સરેઆમ નોનવેજના હાટડા બંધ ન થાય તો આક્રમક કાર્યક્રમો આપવાની રજુઆત કરાઈ
મોરબી : માળીયાના ચીખલી ગામે રણ વિસ્તારમાં ગૌ હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગઈકાલે ગ્રામજનોએ આવેદન આપ્યા બાદ આજે ગૌ હત્યાના વિરોધમાં હિન્દૂ સંગઠનો મેદાને આવ્યા હતા. જેમાં વિહિપ અને બજરંગ દળે કલેકટરને આવેદન આપી જણાવ્યું હતું કે, ચીખલી ગામે માલધારીઓએ ચરાવવા આપેલી 14માંથી 13 ગાયોની કુર હત્યા કરી નાખી હતી. આ ગૌ હત્યામાં સંડોવાયેલા છ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જો કે હિન્દૂ સંગઠનોને ઘટનાસ્થળે મુલાકાત લેતા 100 ગાયો ગાયબ હોય ઘણી ગાયોની હત્યા થઈ હોવાનું કહ્યું હતું. 3 વર્ષથી ગૌ હત્યા થઈ રહી હોવાનું પણ જણાવી દાખલા રૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે.જ્યારે મોરબી શહેરમાં અને જિલ્લામાં નોનવેજના હાટડા ધમધમે છે. ગેરકાયદે આવા હાટડા ધમધમતા હોય અને જેની પાસે કતલખાનાના લાયસન્સ હોય તો તે લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે. જો દાખલારૂપ કાર્યવાહી નહિ થાય તો હિન્દૂ સંગઠનો આક્રમક કાર્યક્રમો કરશે તેવી ચીમકી આપી છે.