વાંકાનેર તાલુકાના જાલીડા ગામે પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. આ ગામને લીંબાળા સંપમાંથી નર્મદાનું પાણી આપવામાં આવે છે. પણ ગામને પુરતા પ્રમાણમાં મળતું નથી. એટલે અપુરતું પાણી આવતા 1000 હજારની વસ્તીને પાણી પુરૂ પડતું નથી. હાલ હમણાં જ ઉનાળામાં વેચાતું પાણી લઈને પાણીની જરૂરિયાત પૂરી પાડી છે અને વેચાતું પાણી લઈને કઈ રીતે ઉનાળો કાઢ્યો એ અમારું મન જ જાણે છે એવું ગ્રામજનોએ કહ્યું હતું. લિંબાળા સંપમાંથી આ ગામને પુરતું પાણી ન મળતું હોય ગામલોકોને ભારે હાડમારી વેઠવી પડતી હોય ગામલોકોને પુરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સરપંચ ગોપાલભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે, તેમનું ગામ રાજાશાહી વખત પહેલાનું ગામ છે અને ગામમાં હાલ 1000હજારની વસ્તી હોય પણ આ વસ્તી ખેતી ઉપર નિર્ભર હોવા છતાં સિંચાઇની કમી હોવાથી ગામની બધી જ ખેતી વરસાદ આધારિત છે. ગામમાં આરોગ્ય કેન્દ્રની સારી સવલત અને 1થી8 ધોરણની પ્રાથમિક શાળા છે. પણ ગામમાં સ્ટ્રીટ લાઈટ નથી. ગામની અંદરના માત્ર 50 ટકા રોડ રસ્તા, 50 ટકા ભૂગર્ભ ગટર વ્યવસ્થિત છે. કચરા માટે વાહન આપ્યું નથી. તેથી ગ્રામ પંચાયત જાતે કચરાનો નિકાલ કરે છે. જ્યારે આ ગામને જોડતા વસુધરા, રંગપર આ બે ગામના અંતરયાળ રસ્તા કાચા હોય પાકા કરવાની માંગ છે. વધુમાં સરપંચના કહેવા મુજબ ગામના સ્મશાનમાં કોઈપણ જાતની સુવિધા નથી. આથી ગામના ત્રણ સ્મશાનમાં યોગ્ય સુવિધા આપવામાં આવે તેવી માંગ છે. તેમજ ગામમાં જાહેરમાં ત્રણ સ્થળે શૌચાલયની જરૂરત છે.