Sunday - May 17, 2026

મોરબીમાં સરકારી કચેરીઓમાં ઓચિંતા ચેકિંગમાં 12 ગુટલીબાજોના "ફિલ્ડ" ના બહાના

મોરબીમાં સરકારી કચેરીઓમાં ઓચિંતા ચેકિંગમાં 12 ગુટલીબાજોના

ઓચિંતા ચેકિંગમાં ગેરહાજર ઝડપાયેલા કર્મીઓ સામે સખત કાર્યવાહી થાય તો જ ખરા અર્થમાં વહીવટી પારદર્શિતા આવશે

મોરબી : મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર વધુ ગતિશીલ, પારદર્શક અને લોકોની સેવામાં સજ્જ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ ૧૭ જેટલી સરકારી કચેરીઓની આકસ્મિક તપાસ કરી વહીવટી શિસ્ત અને કર્મચારીઓની હાજરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તથા સરકારી સેવાઓનો લાભ નિયત સમયમાં મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

ગત તા.૧૮ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી આ આકસ્મિક તપાસ દરમિયાન કાર્યપાલક ઇજનેર - સિંચાઈ વિભાગ, રેન્જ ફોરેસ્ટ કચેરી, નાયબ કાર્યપાલક ઇજનેર - ક્ષાર અંકુશ પેટા વિભાગ-૧, મચ્છુ-૩ બાંધકામ પેટા વિભાગ-૩, સ્ટેમ્પ ડ્યુટી કચેરી, શ્રમ અને રોજગાર કચેરી, સીટી સર્વે કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરી, જી.એસ.ટી. કચેરી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, નાયબ બાગાયત કચેરી, ફીશરીઝ કચેરી, સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ-૬/૧, નાયબ ખેતી નિયામક કચેરી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (યાંત્રિક), જળ સિંચન પેટા વિભાગ કચેરીઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું.

તપાસ દરમિયાન આ તમામ કચેરીઓ મળીને કુલ ૧૨ જેટલા કર્મચારીઓ બિનઅધિકૃત રીતે ગેરહાજર નોંધાયા હતા. કચેરીઓમાં કર્મચારીઓની ગેરહાજરી અને અનિયમિતતાની બાબતને કલેક્ટર કે.બી. ઝવેરીએ અત્યંત ગંભીરતાથી લીધી છે. તેમણે આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા અને શિસ્તભંગની કાર્યવાહી કરવા સંબંધિત કચેરીના વડાઓને કડક સૂચના આપી છે.

જિલ્લા વહીવટી તંત્રની આ કાર્યપદ્ધતિ પાછળ કલેક્ટરનો હકારાત્મક અભિગમ રહ્યો છે કે, સરકારી તંત્ર લોકો માટે છે અને કચેરીઓમાં કામકાજની શિસ્ત જળવાઈ રહેવાથી જ લોકશાહીના કાર્યોમાં વેગ આવે છે. આ આકસ્મિક તપાસ દ્વારા કચેરીઓના વહીવટમાં વધુ સુદ્રઢતા આવશે અને કર્મચારીઓમાં જવાબદારીનો ભાવ દ્રઢ થશે. તપાસ દરમિયાન લોકોના પડતર પ્રશ્નોના ઝડપી નિકાલ માટે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. કલેક્ટર દ્વારા સમયાંતરે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તો ગુટલીબાજ કર્મચારીઓ નિયમિત હાજર રહે અને મોરબી જિલ્લાનું વહીવટી તંત્ર વધુ લોકાભિમુખ અને કાર્યક્ષમ બની શકે.