મોરબી : સરદારબાગની સામે, નવા પુજારા ટેલિકોમવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે આવેલી ભરતનગર પ્રાથમિક શાળાને દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ગ્રાન્ટ આધારિત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનો અવસર પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમ હેઠળ ગાંધીનગર તથા અમદાવાદ સાયન્સ સિટી ની મુલાકાતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ પ્રવાસ માટે મોરબી તાલુકામાંથી માત્ર બે શાળાઓ — ભરતનગર પ્રાથમિક શાળા અને વજેપર શાળા — ની પસંદગી કરવામાં આવી હતી. શાળાઓના શૈક્ષણિક દેખાવ અને ઓલ ઓવર પરફોર્મન્સને આધારે આ પસંદગી કરવામાં આવતા શિક્ષણ જગતમાં તથા વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.
તારીખ 24/02/2026 ના રોજ યોજાયેલા આ પ્રવાસમાં ભરતનગર પ્રાથમિક શાળાના ધોરણ 7 અને 8 ના કુલ 50 વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી, એક્વેરિયમ, આઈમેક્સ થિયેટર, 5D થિયેટર, મંગલયાન રાઈડ, પ્લેનેટોરિયમ, એસ્ટ્રોનોમી ગેલેરી તથા નેચર પાર્ક જેવી વિવિધ આકર્ષક અને જ્ઞાનવર્ધક સુવિધાઓની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે આ તમામ સુવિધાઓનો લાભ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આપવામાં આવ્યો હતો. પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આધુનિક વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ જાગૃત કરવાનો અને પ્રાયોગિક જ્ઞાન આપવાનો રહ્યો હતો.
મોરબી તાલુકાની માત્ર બે શાળાઓની પસંદગી થતા મોરબી ના શિક્ષણ ક્ષેત્રમાં ગૌરવની લાગણી સાથે વાલીઓ અને શિક્ષકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.