મોરબીના જેલ રોડ ઉપર આવેલ વણકરવાસમાં આજે હાઈ વોલ્ટેજના કારણે 100થી વધુ મકાનોના વીજ ઉપકરણો બળી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે સ્થાનિકોએ વીજ તંત્ર સમક્ષ વળતરની માંગ કરી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર વણકરવાસ વિસ્તારમાં આજે સવારથી લાઈટ ન હતી. બાદમાં વીજ તંત્રનો સ્ટાફ વીજ પોલ બદલવા આવ્યો હતો. આ કામગીરી પૂર્ણ થયે જેવી લાઈટ આવી તુરંત જ વીજ ઉપકરણોમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને બળી ગયા હતા. આ અંગે સ્થાનિક ભાનુબેન નગવાડિયાએ જણાવ્યું કે 100થી વધુ મકાનની અંદર પંખા, ફ્રીજ, ટીવી, કુલર, એસી જેવા ઉપકરણો બળી ગયા છે. આ શ્રમજીવી વિસ્તાર છે. નાના માણસો રહે છે. ફોન કરવા છતાં વીજતંત્ર દ્વારા પ્રશ્ન સાંભળવામાં આવતો નથી. અહીં સમૂહ લગ્ન હતા. સવારનો પાવર પણ ન હતો. જેને કારણે લોકોને હાલાકી વેઠવી પડી હતી. સ્થાનિક જગદીશભાઈએ જણાવ્યું કે વીજ તંત્રનો સ્ટાફ વીજ પોલ બદલી ગયો અને થોડી જ વારમાં આ બનાવ બન્યો છે. અનેક ઘરોમાં વીજ ઉપકરણો બળી જતા મોટું નુકસાન થયું છે.