Saturday - May 16, 2026

મોરબીના ખાનપરમા ઘરે ઘરેથી સરકારી અનાજ લઈ કાળાબજારી કરતો શખ્સ રૂ.1.86 લાખના અનાજ સાથે ઝડપાયો

મોરબીના ખાનપરમા ઘરે ઘરેથી સરકારી અનાજ લઈ કાળાબજારી કરતો શખ્સ રૂ.1.86 લાખના અનાજ સાથે ઝડપાયો

મોરબી : મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મફતમાં વિતરણ કરવામાં આવતા અનાજના ઘેર ઘેરથી ઉઘરાણા કરી કાળા બજાર કરતા એક શખ્સને મોરબી ગ્રામ્ય મામલતદારે ખાનપર ગામેથી પકડી પાડી 61 કટ્ટા ઘઉ અને 4.5 કટ્ટા ચોખા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્યના ગરીબ પરિવારના એનએફએસએ રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કે, અનેક સંપન્ન પરિવારના ખોટા લાભાર્થીઓ એવા પણ છે કે, જેઓ સરકારી અનાજનો જથ્થો મેળવી બાદમાં બારોબાર વેચી મારે છે. આવા જ એક કિસ્સામાં મોરબી ગ્રામ્ય મામલતદાર એમ.ટી. ધનવાણીએ ખાનપર ગામે દરોડો પાડી ઈમ્તિયાઝ ગુલમામદ ગોધવીયા નામના શખ્સને 3071 કિલો( 61 કટ્ટા) ઘઉં તેમજ 270 કિલો (4.5) કટ્ટા ચોખાના જથ્થા કિંમત રૂપિયા 1,86,616 તેમજ 2 લાખની કિંમતની રીક્ષા અને 50 હજારની કિંમતનું બાઈક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મામલતદારે ઝડપી લીધેલ આરોપી ઘરે ઘરેથી રેશનિંગના ઘઉ ચોખા ઉઘરાવી કાળા બજાર કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.