19 એપ્રિલે ગાયત્રી મંદિરથી ભગવાન પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે
મોરબી : મોરબી શહેરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી 19 એપ્રિલ 2026 ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે મોરબીના સમસ્ત બ્રહ્મસમાજ અને ભૂદેવોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
19 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે વાઘપરા શેરી નં. 14 સ્થિત ગાયત્રી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા મોરબીના મુખ્ય રાજમાર્ગો જેવા કે રામ ચોક, હોસ્પિટલ ચોક (ગાંધી ચોક), નગર દરવાજા ચોક, ડો. તખ્તસિંહજી રોડ, સુભાષ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, વી.સી. ફાટક, રેલવે સ્ટેશન, કુબેર નગર અને નવલખી ફાટક થઈને સાંજે 7:30 વાગ્યે પરશુરામ ધામ મંદિરે પહોંચશે. શોભાયાત્રા પરશુરામ ધામ ખાતે પહોંચ્યા બાદ સાંજે 7:30 કલાકે ભગવાન પરશુરામની ભક્તિભાવ પૂર્વક મહા આરતી કરવામાં આવશે. મહાઆરતી બાદ દર્શનાર્થીઓ માટે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા તમામ ભૂદેવોને આ પાવન અવસરે સહપરિવાર હાજર રહી, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદનો દિવ્ય લહાવો લઈ આ યાત્રાને ગૌરવ આપવાની અપીલ કરવામાં આવી છે.