Monday - Jul 06, 2026

વાંકાનેરના વઘાસિયા નજીક માટેલ દર્શન કરીને રાજકોટ પરત ફરતા નાની અને બાળકનું ટ્રકની ઠોકરે મોત

વાંકાનેરના વઘાસિયા નજીક માટેલ દર્શન કરીને રાજકોટ પરત ફરતા નાની અને બાળકનું ટ્રકની ઠોકરે મોત

વાંકાનેર : રાજકોટમા ભગવતીપરા વિસ્તારમાં નાનીમા સાથે રહેતા સગીરને તેની માતાએ નવું એક્સેસ મોટર સાયકલ લઈ આપ્યા બાદ નાનીમા અને દોહિત્ર નવું મોટર સાયકલ લઈ મામા, મામી સહિતના લોકો સાથે અલગ અલગ મોટર સાયકલમાં માટેલ દર્શન કરી પરત રાજકોટ જતા હતા ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા બન્નેના ગંભીર ઈજા થતાં મૃત્યુ નિપજ્યા હતા.

અકસ્માતના આ બનાવ અંગે રાજકોટના શાપર - વેરાવળ ખાતે રહેતા પૂર્વેશભાઈ રમેશભાઈ પરમારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરજે- 14- જીએલ - 8981 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેઓ તેમના પત્ની, બાળકો સાથે પોતાના બાઈકમાં તેમજ તેમનો ભાણેજ રિક્કી દીપકભાઈ કવા ઉ.17 અને માતા ગુલાબબેન રમેશભાઈ પરમાર ઉ.70 વાળા રિકકીના નવા એક્સેસ મોટર સાયકલમાં લઈને માટેલ દર્શનાર્થે ગયા હતા અને બાદમાં રાજકોટ પરત આવતા હતા ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક પહોંચતા ટ્રક ચાલકે હડફેટે લેતા બન્નેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા બન્નેને મૃત જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે,મૃતક રિકકીના માતાના દસ વર્ષ પૂર્વે છૂટાછેડા થઈ જતા હાલમાં અમદાવાદ ખાતે રહે છે અને મૃતક રિક્કી તેમના નાનીમાં સાથે ભગવતીપરા રાજકોટ ખાતે રહે છે. જેમાં તાજેતરમાં રિકકીના માતાએ નવું એક્સેસ મોટર સાયકલ લઈ આપતા મામા, મામી અને નાનીમાં સાથે માટેલ દર્શન કરવા ગયા હતા.જ્યાંથી પરત ફરતી વેળાએ આ ગમખ્વાર અકસ્માત સર્જાતા નાનીમા અને દોહિત્રના એક સાથે મૃત્યુ નિપજતા લુહાર પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.