Saturday - May 16, 2026

હળવદમાં વેપારીએ દસ શખ્સોના ત્રાસથી આપઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ

હળવદમાં વેપારીએ દસ શખ્સોના ત્રાસથી આપઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં નવા બની રહેલા કારખાનાના ગ્રાઉન્ડમાં દસ દિવસ પૂર્વે કારમાં ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેનાર વેપારીના પત્નીએ પોતાના પતિને મરવા મજબૂર કરનાર વ્યાજખોરો, વેપારી, જમીન વેચાતી આપનાર સહિતના દસ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

હળવદ શહેરમાં સરા રોડ પર રહેતા નવનીતભાઈ આદ્રોજા નામના વેપારીએ ગત તા.17 નવેમ્બરના રોજ કેદારીયા ગામની સીમમાં આવેલ નવા બની રહેલા કારખાનાના મેદાનમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક નવનીતભાઈના પત્ની હંસાબેન નવનીતભાઈ અદ્રોજાએ પોતાના પતિને દસ આરોપીઓએ મરવા મજબુર કર્યા હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાવી હતી. હંસાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી શરદભાઈ વલજીભાઈ પટેલ અને સુરેશભાઈ વલજીભાઈ પટેલ પાસેથી મૃતકે જમીન ખરીદી તમામ પૈસા ચૂકવવા છતાં આરોપીઓ દસ્તાવેજ ન કરી આપી વધુ એક કરોડ માંગતા હતા. આ ઉપરાંત આરોપી ભરતભાઇ ગાંડુભાઈ ભટાસણા રહે.મોરબી પાસેથી ઉંચા વ્યાજે પૈસા લીધા હોય તેમજ આરોપી અનિલભાઇ મંગલ રહે.સેંધવા મધ્યપ્રદેશ, ગજાનનભાઈ જોશી રહે.રાધનપુર, સૌરભ રાઠી, ગીરીશભાઈ મહેશ્વરી, ઘેટીદાદા, જગદિશભાઈ તેમજ રામજીભાઈ નામના વેપારીઓ ધંધાના પૈસા બાબતે ઉઘરાણી કરી ત્રાસ આપતા હોય દસેય આરોપીઓના ત્રાસથી નવનીતભાઈએ આપઘાત કરી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.