Friday - Apr 24, 2026

મોરબી પંથકમાં અલગ અલગ બનાવમાં 5ના અપમૃત્યું

મોરબી પંથકમાં અલગ અલગ બનાવમાં 5ના અપમૃત્યું

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જાણે કાળ ચક્ર ફરી વળ્યું હોય તેમ અલગ અલગ પાંચ બનાવમાં ત્રણ વર્ષન બાળકથી લઈ 59 વર્ષના વૃદ્ધનું અલગ અલગ કારણોસર અકાળે મૃત્યુ નિપજતા પોલીસે પાંચેય બનાવમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

અપમૃત્યુની પ્રથમ ઘટનામાં મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે રહેતા જયંતીલાલ છગનલાલ અમૃતિયા ઉ.59ને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં ટીંબડી ગામના પાટિયા પાસે પાટીદાર ટાઉનશિપમાં રહેતા માનુબેન જયંતીભાઈ સારલા ઉ.50 નામના આધેડ મહિલા માનસિક બીમાર હોવાથી દવા લેવા છતાં સારું ન થતા કંટાળી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ત્રીજા બનાવમાં મોરબીના લગધીરપુર રોડ ઉપર ઓઝોન વિટ્રીફાઈડ કારખાનામા કામ કરતા ઉધારણ અસંડા ઉ.39 નામના શ્રમિકને અચાનક લોહીની ઉલ્ટીઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. ચોથા બનાવમાં મોરબી નજીક આવેલ એબીસી રીફેક્ટરી કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જતાં અનસુમત કમલભાઈ વસાવા ઉ.3 નામના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત પાંચમા બનાવમાં મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા ટપુભાઈ ઉર્ફે મનુભાઈ હમીરભાઈ પરમાર ઉ.35 નામના યુવાને એસિડ પી લેતા મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.