વીસી ફાટકથી શરૂ થયેલી શોભાયાત્રા ડો.બાબા સાહેબની પ્રતિમાને પહોંચીને મોટી સંખ્યામાં લોકોએ ફૂલહાર કરી બાબા સાહેબને કોટી કોટી નમન કર્યા
મોરબી : મોરબીમા આજે બંધારણના ઘડવૈયા અને મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મ જયંતિની અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં મોટી સંખ્યામાં ભીમભક્તો ઉમટી પડ્યા હતા.
14 એપ્રિલે મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રાનો પ્રારંભ શહેરના વીસી ફાટક વિસ્તારથી કરવામાં આવ્યો હતો. આ રેલીમા ટ્રેક્ટરો પર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ભીમા ગોરેગાવના વિજય સ્તંભને શણગારવામાં આવ્યા હતા, જે આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રાના રૂટ પર પાણી અને છાશ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને અંતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં પ્રતિમાને સલામી આપી રેલીની પૂર્ણાહુતિ કરવામા આવી હતી.
ડો.બાબા સાહેબની જન્મ જયંતી નિમિત્તે માત્ર શોભાયાત્રા જ નહીં, પરંતુ દિવસભર વિવિધ સામાજિક કાર્યો પણ કરવામાં આવશે. જેમા બ્લડ ડોનેશન કેમ્પ, તેમજ વિવિધ વિસ્તારોમાં ભીમ ભજન અને બાળકો માટે બટુક ભોજનના આયોજન અને શાળાઓમા બાળકોને બાબાસાહેબના જીવન અને સંઘર્ષ વિશે માહિતી આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડો. બાબાસાહેબ આબેડકરના વૈશ્વિક પ્રદાનને ધ્યાને રાખીને કોલમ્બિયા યુનિવર્સિટી દ્વારા પણ આ દિવસને માનવતા દિવસ તરીકે ઉજવવાનો પરિપત્ર જાહેર કરાયો છે. મોરબીમા યોજાયેલા આ તમામ કાર્યક્રમોમાં પોલીસ વિભાગ અને સ્થાનિક વેપારીઓનો પણ પૂરતો સહયોગ મળ્યો હતો. રાત્રિના સમયે કેક કટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.